દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા ગૂગળી બ્રાહ્મણો અને ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું છે. એને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, અમારા સંપ્રદાયમાં વડીલો અને મોટેરાઓ ભેગા થઇ એક મીટીંગનું આયોજન કર્યું છે અને એવો નિર્ણય કર્યો છે કે, પૂર્વે જે કોઇપણ આ પ્રકારના વિવાદો થયા છે તેના પર કોઇ એક્શન લેવી અને ભવિષ્યમાં કોઇ આવી ભૂલ કરે તો તેના પર નક્કર પગલાં લેવા. બીજું એ કે આ પૂર્વે આમારા સાધુ દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે જે કાંઇ પણ કહેવામાં આવ્યું છે, તો સ્વામી નારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશનો જે કાંઇપણ દ્રોહ થયો છે. તો દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સ્વામી નારાયણ સંતો વતી કરબદ્ધ પ્રાર્થના કરું છું. સાથે સાથે ગુગળી બ્રાહ્મણ વિશે પણ જે કાંઇ કહેવામાં આવ્યું છે, તો તેના માટે પણ હું દિલગીર છું. સાથે અન્ય જે કોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું.
મૂળ સંપ્રદાયના સ્વામીઓ સ્વામી નારાયણને માનતાં હોય તે તે, સ્વામી નારાયણ ધર્મની શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, પાંચ દેવને પૂજવા એવું સ્વામી નારાયણ મહાપ્રભુએ કીધું છે. બીજી વાત એ કે, સ્વામી નારાયણ ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે તમામ સતસંગીઓને કે, તેમણે શિવરાત્રિનું પૂજન કરવું, નવરાત્રિનો ઉત્સવ કરવો, રામનવમીનો ઉત્સવ કરવો, હનુમાન જયંતિનો ઉત્સવ કરવો. આપણા સનાતની ઉત્સવ કરવા સાથે જ તે દિવસે ઉપવાસ પણ કરવો. આવી આજ્ઞા ભગવાન સ્વામી નારાયણ પ્રભુએ કરી છે. ભગવાન સ્વામી નારાયણે શિક્ષાપત્રીમાં ખાસ કહ્યું છે કે, દ્વારકાની યાત્રા મુખ્યપણે કરવી. જીવનમાં એક વખત તો દ્વારકા જવું, જવું ને જવું જ. અમારા સંતસંગીઓ એ અવશ્યપણે દ્વારકાની યાત્રા કરવી.
કોઠારી સ્વામીએ ગૂગળી બ્રાહ્મણોની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૂગળી બ્રાહ્મણો યાત્રાળુઓની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેઓ યાત્રાળુઓને દર્શન કરાવવાથી માંડીને ભોજન કરાવવા સુધીની સેવા કરે છે. જો કોઈ યાત્રાળુ પાસે દક્ષિણા ન હોય તો તેમને પરત જવા માટે ટિકિટ ભાડું પણ આપે છે.