30 માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યાં છે. આ હડતાલમાં વધુમાં વધુ રત્નકલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વીડિયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે, ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.
નોટબંધી અને કોરોના કાળને કારણે રત્નકલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્નકલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સંગઠન દ્વારા 30 માર્ચ, 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે “રત્નકલાકાર એકતા રેલી”નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે, સરકારની સાથે-સાથે હીરા ઉદ્યોગકાર પણ રત્નકલાકારોની પરિસ્થિતિ સમજે અને આગળ આવે તે જરૂરી છે. આ માટે એક દિવસના બદલે 10 દિવસ પણ હડતાલ કરવી પડે તો તૈયારી રાખજો. કારણ કે, કોરોનાકાળમાં આપણે ત્રણ મહિના સુધી ઘરે બેઠા હતા. જ્યારે હાલમાં આપણું અને આપણા પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન છે. ત્યારે તમામ એકજૂટ થઈને આગળ આવશે તો જ આપણા પ્રશ્નો ઉકેલાશે.
સુરતના મંદીમાં સપડાયેલા ડાયમંડ ઉદ્યોગનો મુદ્દો સંસદમાં પણ મૂકવામાં આવ્યો છે. ઝીરો અવર્સમાં સાંસદ મુકેશ દલાલે રત્નકલાકારોની વેદના સંસદમાં વ્યક્ત કરી હતી. મુકેશ દળે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડનું હબ છે, સુરતના ડાયમંડ સિટીને કોઈની નજર લાગી છે,સુરતના ડાયમંડ સિટીની ચેઇન તૂટી છે. વિશ્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ફસાઈ ગઈ છે, હીરાના વેપારીઓ પાસે અબજો ડોલરનો માલ પડ્યો છે.સાંસદ મુકેશ દલાલે વધુમાં જણાવ્યું હતું કે, 20થી 25 લાખ રત્નકલાકારો બેરોજગાર થવાની કગાર પર છે. રત્ન કલાકારોની પરિસ્થિતિ એવી છે કે, તેમનું ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. રાજ્ય સરકાર સિનિયર મંત્રીની આગેવાનીમાં એક રિવ્યુ કમિટીની રચના કરે. હું વિનંતી કરું છું કે સરકાર આ કપરા સમયમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને રત્ન કલાકારોને મદદ કરે.