રવિવારે સાંજે હિમાચલ પ્રદેશના ધાર્મિક પર્યટન સ્થળ મણિકર્ણમાં ગુરુદ્વારા નજીક ટેકરી પરથી ભૂસ્ખલન થયું. ભારે વાવાઝોડાને કારણે એક વિશાળ વૃક્ષ પડવાથી આ ભૂસ્ખલન થયું હતું. આ વૃક્ષ રસ્તા પર પહેલેથી જ પાર્ક કરેલા લગભગ 6 વાહનો પર પડ્યું. જેના કારણે આ વાહનોમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના મોત થયા.આ ઉપરાંત કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ કેટલાક લોકો લાંબા સમય સુધી વાહનોની અંદર ફસાયેલા રહ્યા, જેમને પોલીસે બહાર કાઢ્યા. ઘાયલોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી.
સ્થાનિક લોકોની મદદથી, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ગંભીર રીતે ઘાયલોને કુલ્લુ રિફર કરવામાં આવ્યા છે. રસ્તા પરથી કાટમાળ દૂર કરવામાં આવ્યો છે અને તેની નીચે દટાયેલા લોકોની શોધ ચાલુ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલન પછી ઘટનાસ્થળે અરાજકતા ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે 6 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી; પોલીસ તેમને ઓળખવાના પ્રયાસો કરી રહી છે.
ભૂસ્ખલન બાદ કુલ્લુથી મણિકરણને જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.