અમદાવાદ શહેરના રિંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગઈ હતી. જેમાં 22 ડિટેઇન કરેલાં વાહનો હતાં અને 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટુ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાંની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, ઓઢવ બ્રિજની નીચે આઇ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલાં ટુ-વ્હીલર અને ગાડીઓમાં આગ લાગી હતી. 22 જેટલાં ડિટેઈન કરેલાં ટુ-વ્હીલર અને બે ગાડીમાં આગ લાગી હતી. જ્યારે બાકીના 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સવારે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ શરૂ કરી છે.