બુધવારે લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. રાત્રે 2 વાગ્યે થયેલા મતદાનમાં 520 સાંસદોએ ભાગ લીધો હતો. 288એ પક્ષમાં મતદાન કર્યું અને 232એ વિરોધમાં મતદાન કર્યું. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેને UMEED (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ) નામ આપ્યું છે. આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું- જો અમે આ સુધારા બિલ રજૂ ન કર્યું હોત, તો અમે જે ઇમારતમાં બેઠા છીએ તે પણ વક્ફ મિલકત તરીકે દાવો કરી શકાઈ હોત. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં ન આવી હોત તો ઘણી અન્ય મિલકતો પણ રદ થઈ ગઈ હોત.
સ્વતંત્રતા પછી, 1954માં પહેલીવાર વક્ફ કાયદો ઘડવામાં આવ્યો. તે સમયે રાજ્ય વક્ફ બોર્ડની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારથી અનેક સુધારાઓ પછી, 1995માં વક્ફ કાયદો લાગુ કરવામાં આવ્યો. તે સમયે, કોઈએ કહ્યું ન હતું કે આ ગેરબંધારણીય છે. આજે જ્યારે આપણે એ જ બિલમાં સુધારો કરીને લાવી રહ્યા છીએ, ત્યારે તમે કહી રહ્યા છો કે તે ગેરબંધારણીય છે. તમે બધું બાજુ પર મૂકીને અને એવી વાતનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો જે સંબંધિત નથી.રિજિજુએ કહ્યું કે, 2013માં ચૂંટણી માટે થોડા જ દિવસો બાકી હતા. 5 માર્ચ, 2014ના રોજ 123 મુખ્ય મિલકતો દિલ્હી વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ચૂંટણીને થોડા દિવસો બાકી હતા, તમારે રાહ જોવી જોઈતી હતી. તમે વિચાર્યું હતું કે તમને મત મળશે, પણ તમે ચૂંટણી હારી ગયા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વક્ફમાં બિન-ઇસ્લામિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે નહીં. આવી કોઈ જોગવાઈ પણ નથી. વોટ બેંક માટે લઘુમતીઓને ડરાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘વક્ફ બિલ ચોરી માટે નથી, પરંતુ ગરીબો માટે છે. એક સભ્ય કહી રહ્યો છે કે, લઘુમતીઓ સ્વીકારશે નહીં, તમે શું ધમકી આપી રહ્યા છો ભાઈ? આ સંસદનો કાયદો છે, તેને સ્વીકારવો પડશે.’