પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં નોકરી ગુમાવનારા શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફે ગુરુવારે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભૂખ હડતાળની જાહેરાત કરી હતી. બુધવાર રાતથી શિક્ષકો પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશનઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.અગાઉ, શિક્ષકોએ જિલ્લા નિરીક્ષકની કચેરી બહાર પ્રદર્શન કર્યું હતું. જ્યાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર લાઠીચાર્જ અને લાતો અને મુક્કાઓથી માર મારવાનો આરોપ લગાવ્યા હતા.
આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 8 એપ્રિલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 25,753 શિક્ષકો અને નોન-ટીચિંગ કર્મચારીઓની નિમણૂક રદ કરવા અંગે પત્ર લખ્યો હતો. આમાં તેમણે રાષ્ટ્રપતિ પાસે માંગ કરી છે કે જે લોકો નિર્દોષ છે તેમને નોકરીમાં રહેવા દેવામાં આવે.આ મામલે સુપ્રીમ કોર્ટમાં 8 એપ્રિલે સુનાવણી થઈ હતી. કોર્ટે સ્કૂલ કર્મચારીઓ માટે વધારાની જગ્યાઓ બનાવવાના પશ્ચિમ બંગાળ કેબિનેટના નિર્ણયની સીબીઆઈ તપાસ પર રોક લગાવી દીધી હતી. જો કે, કોર્ટે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ રહેશે.
આ મામલે, 7 એપ્રિલના રોજ, મુખ્યમંત્રી મમતા બેનર્જી એવા શિક્ષકો અને કર્મચારીઓને મળ્યા જેમની ભરતી સુપ્રીમ કોર્ટે રદ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે અમે કોર્ટના આદેશથી બંધાયેલા છીએ. આ નિર્ણય એવા ઉમેદવારો માટે અન્યાયી છે જેઓ સક્ષમ શિક્ષકો હતા.તેમણે કહ્યું- તમારે લોકોએ એવું ન વિચારવું જોઈએ કે અમે નિર્ણય સ્વીકારી લીધો છે. અમે પથ્થર દિલના નથી. આ કહેવા બદલ મને જેલમાં ધકેલી શકો છે, પણ મને કોઈ ફરક પડતો નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, પશ્ચિમ બંગાળ ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામા અને તેમને જેલમાં ધકેલવાની માંગ કરી છે.