જમ્મુ-કાશ્મીરમાં આવેલા પહેલગામમાં પર્યટકો પર થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં ગુજરાતના 3
સહિત 28 પર્યટકો માર્યા ગયા છે. ત્યારે શ્રીનગર, જમ્મુ, સોનમર્ગ, ગુલમર્ગમાં ફસાયેલા હજુ ગુજરાતના
8 હજાર જેટલા પર્યટકોને સલામત રીતે વિમાન, ટ્રેન કે ખાનગી વાહનો મારફતે પરત થઇ રહ્યા છે,
જમ્મુ, શ્રીનગરથી આવતી ડાયરેક્ટ ફલાઇટો ફૂલ થઇ રહી છે અને કનેક્ટિંગ ફલાઈટોના વન-વે ભાડા 15
થી 25 હજારે આસમાને પહોંચ્યા છે. આતંકી હુમલાને પગલે કાશ્મીરના બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ
રદ થવા લાગ્યા છે. હાલ 90 ટકા લોકોએ પોતાની ટૂર કેન્સલ કરી છે.
બધુવારે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં ટ્રાવેલ ફેડરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા (TAFI) ના
ચેરમેન રોનક શાહે જણાવ્યુ કે અમદાવાદ સહિત રાજ્યમાંથી ટ્રેન, ફલાઇટ, રોડ માર્ગે કાશ્મીરનો 6 રાત્રિ
સાત દિવસ પેકેજ 90 ટકા લોકોએ રદ કરી દીધા છે. સુરક્ષા-સલામતીની ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી 1
લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય. બુધવારે અમદાવાદથી ઇન્ડિગોની જમ્મુ-શ્રીનગરની 50 ટકા
ફલાઈટો ખાલી ગઇ હતી. ફસાયેલા 8 હજાર ટૂરિસ્ટોને પરત લાવવા એરલાઇનોએ મુંબઇ, દિલ્હીથી
વધારાની ફલાઇટો શરૂ કરી છે. જો કે, ત્યાંથી રિટર્ન આવવાનું ભાડું 25 હજાર સુધી પહોંચી ગયું છે.
કાશ્મીરની ટૂર રદ કરી ટૂર ઓપરેટરો હાલમાં દાર્જીલિંગ, ગેંગટોક, હિમાચલ, મેઘાલય, ઉત્તરાખંડનો
વિકલ્પ આપી રહ્યા છે જુલાઇ સુધી જમ્મુ-શ્રીનગર ફલાઇટોની 12 હજાર ટિકિટો બુક થઇ છે એરલાઇને 30
એપ્રિલ સુધી રિફંડ જાહેર કર્યુ છે જે આગામી જુલાઈ સુધીનું રિફંડ પાછું આપવાની માંગ કરી છે, જેથી
આર્થિક ફટકો પડે નહીં. કાશ્મીરમાં બુક થયેલી એડવાન્સ હોટેલોનું રિફંડને લઇ ઓપરેટરોએ ચિંતા વ્યક્ત
કરી છે. જેમાં કેટલીક હોટેલો સંમતિ દર્શાવી છે પરંતુ મોટાભાગની સ્થાનિક હોટેલો સાથે અમુક ટકા
કમિશન કાપી બાકીના પૈસા પરત કરવા મામલે વાટાઘાટો ચાલી રહી છે. 10થી 12 હજાર લોકોએ
કાશ્મીરની ટૂર કેન્સલ કરાવી હોવાથી કરોડોનું નુકસાન થવાની શક્યતા છે.