બિલાવલના ઝેર ઓકતા નિવેદન બાદ સુરતમાં આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બિલાવલને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. પાટીલે કહ્યું હતું કે, અમે ધમકીઓથી ડરતા નથી. તારામાં તાકાત હોય તો આવી જા.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ કરેલા હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ સ્થગિત કરવાનો નિર્ણય લેતા જ પાકિસ્તાનના રાજનેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ લાજવાને બદલે ગાજતા કહ્યું હતું કે, સિંધુ નદીમાં કાં તો પાણી વહેશે કાં ભારતીયોનું ખૂન વહેશે. બિલાવલના આ નિવેદન બાદ ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કહ્યું હતું કે, ભારતે સિંધુ જળસંધિ સ્થગિત કરતા જ બિલાવલ ભુટ્ટો બિલબિલાવી ગયો છે. મેં તેને કહ્યું કે, ભાઈ અમે ધમકીથી ડરતા નથી. તારામાં તાકાત હોય તો આવી જા.
પહેલગામ હુમલા પછી ભારતે લીધેલાં પગલાંમાં સૌથી મોટો નિર્ણય સિંધુ જળ સમજૂતીને રોકવાનો છે. પાકિસ્તાનની ખેતી, પીવાના પાણી અને વીજળી ઉત્પાદનનો મોટો ભાગ આ પાણી પર આધાર છે. બંને દેશો વચ્ચે ત્રણ યુદ્ધ થયા છતાં ભારતે આ કરાર જાળવી રાખ્યો. પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ સિંધુ જળ સંધિને રોકવા સહિત 5 મુદ્દાનાં પગલાં અમલમાં મૂક્યાં છે. આ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય કોઈ સંબંધ બનશે તો એમાં આતંકવાદને એક રજકણ પણ સ્થાન નહીં હોય.