સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 134 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી પોલીસે વેરિફિકેશન શરૂ કર્યું છે. જે શકમંદો ઝડપાયા છે તેઓની પૂછપરછમાં પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. બાંગ્લાદેશીઓ માત્ર 10 થી 15 હજાર ત્યાંના એજન્ટોને ચૂકવી ભારતમાં ઘૂસણખોરી કરે છે. ભારતમાં આવ્યા બાદ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પહોંચી જાય છે અને બોગસ ડોક્યુમેન્ટ બનાવી અહીં રહેવા લાગે છે.
માત્ર 10 થી 15 હજાર રૂપિયા આપીને ભારત દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને પરત તેમના દેશમાં મોકલવા માટે લાંબી કાયદાકીય પ્રક્રિયાથી પસાર થવું પડે છે. ગણતરીના કલાકોમાં ઘુસણખોરી કરનાર આ બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં દોઢથી બે વર્ષ લાગી જાય છે. 10 હજાર રૂપિયામાં ભારત આવનાર આ બાંગ્લાદેશીઓ પાછળ સરકારને આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયા ખર્ચવા પડે છે.
બાંગ્લાદેશથી જે લોકો ભારતમાં ઘૂસણખોરી કરે છે તેમાંના મોટાભાગના લોકો ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી ભારતમાં ઘૂસતા હોવાનું સામે આવ્યું છે. સુરતમાંથી અત્યાર સુધી જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમાંથી મોટાભાગના અહીં આવીને સ્પા અને દેહવ્યાપાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છેસુરત પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડો પાડીને 134 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જેઓના ડોક્યુમેન્ટની ચકાસણી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ શકમંદોની પૂછપરછમાં પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે.
સુરત પોલીસના તપાસમાં બહાર આવ્યું છે કે, જેટલા પણ બાંગ્લાદેશી સુરતથી ઝડપાયા છે. તેઓ ખાસ જિલ્લાથી આવી રહ્યા છે. બાંગ્લાદેશના ઘણા લોકો માટે ભારતમાં પ્રવેશનો મુખ્ય માર્ગ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાઓથી થાય છે. માત્ર 10,000 થી 15,000 જેટલા રકમમાં એજન્ટો દ્વારા તેમને ભારતના વિવિધ વિસ્તારોમાં પ્રવેશ અપાવવામાં આવે છે. તેઓ પત્રો સહિત બોગસ દસ્તાવેજો બનાવી મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે અને ત્યારબાદ ભારતના વિવિધ રાજ્યોના શહેરોમાં સ્થાયી થઈ જાય છે. બોંગાઓ, ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલું મહત્વપૂર્ણ સરહદી શહેર છે, જે પેત્રાપોલ બોર્ડર ચોકી સાથે જોડાયેલું છે. બીજી તરફ, સતખેરા બાંગ્લાદેશનો સરહદી જિલ્લો છે, જે ભારતના દક્ષિણ તથા ઉત્તર 24 પરગણા સાથે સંલગ્ન છે. આ કારણે બંને વિસ્તારો સરહદ પારની પ્રવૃત્તિઓ માટે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે.
અમદાવાદમાં 100થી વધુ બાંગ્લાદેશી ડીપોર્ટ કરાશે
ઘૂસણખોરી કરનારા 550થી વધુ શંકાસ્પદના પાસપોર્ટ જપ્ત કરાયા, શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, પાનકાર્ડ તપાસ કર્યા બાદ ગુનો નોંધવામાં આવશે
ચંડોળા તળાવની આસપાસથી પકડેયાલા 890 બાંગ્લાદેશીઓની તપાસમાં 100થી વધુ બાંગ્લાદેશી પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી. તેઓની પૂછપરછમાં ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી હોવાની કબુલાત કરતા તેઓને ડીપોર્ટ કરવામાં આવશે. 550 જેટલા લોકો પાસેથી શંકાસ્પદ પાસપોર્ટ મળી આવતા પોલીસે તેની તપાસ શરૂ કરી છે, સાથે જ આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મળતા કોઈ એજન્ટની મદદથી બનાવ્યા કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂકરી છે. જો ગેરકાયદે રીતે આધાર કાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હશે તો તે મામલે ગુનો પણ નોંધવામાં આવશે.
અમદાવાદ પોલીસે ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરી 890 લોકોની અટકાયત કરાઈ હતી. ચંડોળા તળાવની આસપાસ રહેલા શંકાસ્પદ લોકોની ધરપકડ બાદ તેમના દસ્તાવેજોની તપાસ કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ પાસપોર્ટ ધરાવતા લોકો પણ મળ્યા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ પાસપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ત્રણથી 4 એજન્ટના નામ પણ સામે આવ્યા છે જે ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ કઢાવી આપતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ હાલમાં એજન્ટ મુદ્દે પણ તપાસ કરી રહી છે. આ સાથે જ ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાં ઘણા એવા પણ મળ્યાં છે કે જેઓ પહેલા પણ અલગ અલગ વિસ્તારોમાંથી ડિપોર્ટ થઇ ચૂક્યાં છે. જે ફરી કોઇને કોઇ રસ્તે ભારતમાં ઘૂસી ગયા છે. આ ઉપરાંત જે લોકોએ ભારતના ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ પ્રવાસ કર્યો છે તેની પણ માહિતી એકઠી કરાઇ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ચંડોળા તળાવની આસપાસના વિસ્તારોમાં પાસપોર્ટ ધારકોની સંખ્યાની પણ તપાસ કરાશે. કારણ કે એ પણ એક તર્ક છે કે જે લોકો કાચા મકાન કે ઝુંપડામાં રહે છે તે લોકોને પાસપોર્ટની જરૂર શું છે? સાથે જ આ લોકોના પાસપોર્ટને આધારે કેટલા દેશમાં પ્રવાસ કરી ચૂક્યાં છે. આ તમામ મુદ્દાઓની તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહી છે. જેઓની પાસે ભારતના કોઇ દસ્તાવેજો મળ્યા નથી તેમાં સૌથી વધારે મહિલાઓનો સમાવેશ થાય છે