અમદાવાદમાં શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 50 જેસીબી મશીન સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારે 5ઃ30થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો.
આ પહેલા 28 એપ્રિલની રાત્રે AMCના અધિકારીઓ તથા શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને રાત્રે 1.30થી 2.30 વાગ્યા સુધીમાં પહોંચી જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાઇબર ક્રાઇમ, SRP સહિતની ટીમોના બંદોબસ્ત સાથે ચંડોળા તળાવ વિસ્તારની ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ હાલ ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી. અહીંના એક ટપોરી એવા લલ્લા બિહારીએ આ ગેરકાયદે ફાર્મહાઉસ ઊભું કર્યું છે. હવે બાંગ્લાદેશીઓને વસવાટ કરાવનાર લલ્લા ઉર્ફે બિહાર મેહબૂબ પઠાણની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધી છે. તપાસમાં સામે આવ્યું છે કે તે બાંગ્લાદેશીઓને બોગસ ભાડા કરાર કરાવીને દસ્તાવેજ કરાવતો હતો. આ ભવ્ય ફાર્મહાઉસ, ગની પથ્થરવાળા, કાળુ મોમીનના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા હતા.