અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. 28 એપ્રિલની મોડી રાત્રે જ પોલીસકાફલો, 50 JCB મશીન સાથે AMCની ટીમ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ 29 એપ્રિલની સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. જે દિવસ દરમિયાન કામગીરી ચાલી હતી. ત્યારે આજે સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં ફરીથી ડિમોલિશન કામગીરી શરૂ થઈ ગઈ છે. અને આ કામગીરી આજે 30 એપ્રિલ અને આવતીકાલે 1 મે એમ બે દિવસ ચાલશે.
ચંડોળા તળાવ મેગા ડિમોલિશનનો બીજો દિવસ શરૂ થયો છે. દાણીલીમડા વિસ્તાર તરફના ભાગમાં ડિમોલિશનની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર અને પોલીસની ટીમો ચંડોળા ખાતે પહોંચી ગઈ છે. ચંડોળા તળાવમાં રહેતા લોકોના ઘર તૂટી રહ્યા હોવાથી લોકો પોતાના ઘર ખાલી કરીને જઈ રહ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બનેલા પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવામાં આવી રહ્યા છે. લોકો પોતાના ઘર ખાલી કરીને જતા રહ્યા છે તો બીજી તરફ લોકો પણ લોખંડના દરવાજા, પતરા વગેરે ભેગા કરીને લઈ જઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ ડિમોલિશન પર સ્ટે માટે મામલો હાઇકોર્ટમાં ગયો હતો. ત્યારબાદ હાઇકોર્ટે 11.15થી લઈ 12.45 વાગ્યા સુધી સુનાવણી કરી સ્ટે મૂકવા ઇનકાર કર્યો હતો. આ મામલે હાઇકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે.