અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરાઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે.
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 59 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું વહીવટી તંત્રનું કહેવું છે. 10 JCB અને 10 ટ્રેક્ટરો સહિતના યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી થઇ રહી છે. જેમાં 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે.
મેગા ડિમોલિશનની આ કામગીરીમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને એના માટે 3 DySP, 9 PI, 26 PSI સહિત 260 પોલીસ જવાનો સહિત 400થી વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા, દૂરબીન અને વોકી-ટોકીથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત PGVCL, આરોગ્ય શાખા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર હાજર છે.
નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરાઈ: અધિક કલેક્ટર
આ અંગે જિલ્લા અધિક કલેક્ટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું છે કે, આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણો થયા હતાં. તંત્રએ અગાઉથી સત્તાવાર નોટિસ પાઠવી હતી અને મકાનમાલિકોને પોતાનો દાવો પુરવાર કરવાનો સમય આપવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં આજે 59 મિલકતો સામે કાર્યવાહી કરાઈ છે. વહીવટી દસ્તાવેજોમાં સ્પષ્ટ છે કે આ જમીન સરકારની માલિકીની છે. આવનારા સમયમાં શેષ દબાણો સામે પણ કાયદેસર પ્રક્રિયા મુજબ જ કાર્યવાહીની તૈયારી છે અને કોઈપણ પ્રકારની જાતિ ભેદભાવ કે અન્યાય વગર કામગીરી હાથ ધરવામાં આવશે.