આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની વાઘા-અટારી બોર્ડર બંધ કરવા નિર્ણય કર્યો હતો. જે લોકો આ બોર્ડરેથી પ્રવેશ્યા હોય તેમને પરત પાક. જવા કહ્યું હતું. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનની અવળચંડાઇ વધી રહી છે, પાકે. વાઘા-અટારી બોર્ડરે પોતાના ગેટ બંધ કરી દીધા છે. જેને પગલે અનેક પાકિસ્તાની નાગરિકો ભારત તરફી ગેટ પાસે જ ફસાયેલા રહ્યા. અત્યાર સુધીમાં અનેક પાકિસ્તાનીઓ પરત જતા રહ્યા છે પરંતુ હવે પાકિસ્તાને ગેટ બંધ કરી દીધા હોવાથી કેટલાક ફસાયા છે જેમના માટે ભારતે દેશ છોડવાની સમય મર્યાદાને વધારી દીધી છે.
કાશ્મીરીઓ માટે ચિંતા હોવાનું નાટક કરતા પાકિસ્તાને પોતાના જ દેશના નાગરિકોનો સ્વીકાર કરવાની ના પાડી દીધી છે. હાલ વાઘા-અટારી બોર્ડરે અનેક પાકિસ્તાનીઓ ફસાયા છે. ગુરુવારે પાકિસ્તાને ગેટ બંધ કર્યા તે પહેલા પાકિસ્તાની રાજદ્વારીઓ સહિત ૧૦૦૦થી વધુ નાગરિકો પાકિસ્તાનમાં પ્રવેશી ચુક્યા હતા. પરંતુ ગુરુવારે અચાનક જ પાકિસ્તાને પોતાના નાગરિકોનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી અને ગેટ બંધ કરી દીધા હતા. જેને પગલે કેટલાક પાકિસ્તાનીઓએ બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમને રોકવા માટે બાદમાં પાકિસ્તાને ગટ આગળ બેરિકેડ્સ ખડકી દીધા હતા.
એક દિલ્હીના રહેવાસી મોહમ્મદ શારીકે કહ્યું હતું કે મારી બહેનના લગ્ન કચારીમાં થયા છે. તે હાલ ભારતમાં છે. અમે તેને છોડવા વાઘા બોર્ડરે પહોંચ્યા હતા, જોકે પાકિસ્તાને ગેટ બંધ કરી દીધા છે. હાલ ભારતે આવા ફસાયેલા પાકિસ્તાનીઓના પરત ફરવા માટેની સમય મર્યાદા વધારી દીધી છે.