ભરૂચના ઝઘડિયા GIDCમાં 16 ડિસેમ્બર 2024માં 10 વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો, અંકલેશ્વરના એડિશનલ સેશન કોર્ટે આરોપી વિજયકુમાર રામશંકર પાસવાનને ફાંસીની સજા ફટકારી છે.સાથે સાથે કોર્ટે પીડિત પરિવારને રૂ.10 લાખ વળતર ચૂકવવાની પણ આદેશ કર્યો છે. કોર્ટે આ કેસને “રેસ્ટ ઓફ ધ રેયર” ગણાવી આ કડક કાયદાકીય પગલું લીધું છે.
આ અંગે ભરૂચના સરકારી વકીલએ જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બર 2024ના રોજ આ ઘટના બન્યા બાદ જિલ્લા એસપી મયુર ચાવડાની સ્પેશિયલ ટીમનું ગઠન કરવાની વાત સાંભળીને મેં આ કેસની ગંભીરતા જાણીને સમાજ અને રાષ્ટ્રના હિતમાં સરકારમાં રજૂઆત કરીને આ કેસ વિના મૂલ્યે લડવાની તૈયારી બતાવી હતી. પોલીસે ચાર્ટશીટ કર્યા બાદ માત્ર 72 દિવસમાં જ ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે. આ કેસમાં બાળકીને બચાવવા માટે સરકારે પણ ઘણા પ્રયાસો કર્યાં હતા જ્યારે પોલીસે પણ તેમની જવાબદારી બખૂબી નિભાવી હતી. તમામ સાક્ષીઓને સમયસર લાવી કોર્ટમાં હાજર કર્યા હતા. પીએમ કરનાર તબીબે તેની જુબાનીમાં જણાવ્યું હતું કે, 30 જેટલી ઇજાઓ બાળકીના શરીર પર કરાયેલી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી તેના ગુપ્તભાગ સળિયા વડે ઈજાઓ કરી હતી. આ કેસને રેસ્ટ ઓફ ધ રેયરની કેટેગરીમાં લાવવા દિલ્હીની નિર્ભયા કેસને ટાંકીને દલીલો કરાઈ હતી. આરોપીએ જે ગુનો આચર્યો તે અમાનવીય ગુનો છે, જેથી કોર્ટે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવા માટે હુકમ કર્યો છે.