પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક પછી, કેન્દ્રીય ગૃહમંત્રીએ 10 સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે સતર્કતા અંગે બેઠક યોજી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ગુજરાતસહિત 10 રાજ્યોના CMને અમિત શાહે સતર્ક રહેવા અને હોસ્પિટલો, ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવાઓના પુરવઠામાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવવા દેવા સૂચના આપી.
પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના 18 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાત સરહદી રાજ્ય હોય અને પાકિસ્તાન સાથે તણાવ વધવાના કારણે ગુજરાત પોલીસના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આ વચ્ચે ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજવામાં આવી.
સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી-આવતી બધી ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે. ભુજ અને કંડલા એરપોર્ટ ત્રણ દિવસ માટે સંપૂર્ણ બંધ. શરૂઆતમાં ભુજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કંડલા એરપોર્ટને પણ ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષાદળોએ ચેકિંગ પણ વધારી દીધુ છે. અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી રીલિઝ કરી કહ્યું કે, એરસ્પેસ પ્રતિબંધો અને અમુક એરપોર્ટ્સ બંધ કરવાની ફ્લાઇટ ઓપરેશન્સ પર અસર પડી શકે, જેથી અમે તમામ પેસેન્જર્સને એરપોર્ટ જતા પહેલાં તેમનું લેટેસ્ટ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા અનુરોધ કરીએ છીએ.