રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાના નિર્ણય પર હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સવાલ કર્યો છે. 8 એપ્રિલે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો, જેના પર રાષ્ટ્રપતિ મૂર્મુએ પ્રતિક્રિયા આપતા 14 પ્રશ્ન કર્યા છે.
દ્રૌપદી મૂર્મુએ આ નિર્ણયને બંધારણના મૂલ્યો અને વ્યવસ્થાની વિરૂદ્ધ હોવાનું જણાવ્યું. આ સાથે જ બંધારણીય મર્યાદાનું અતિક્રમણ પણ કહ્યું. રાષ્ટ્રપતિ મૂર્મુએ હવે બંધારણના અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને 14 બંધારણીય પ્રશ્નો પૂછ્યા છે.
સુપ્રીમ કોર્ટે પોતાના મહત્ત્વના નિર્ણયમાં કહ્યું હતું કે, જો કોઈ બિલ લાંબા સમય સુધી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હોય, તો તેને ‘મંજૂરી પ્રાપ્ત’ માનવામાં આવશે. રાષ્ટ્રપતિએ આ નિર્ણય પર વાંધો ઉઠાવતા પૂછ્યું કે, જ્યારે દેશનું બંધારણ રાષ્ટ્રપતિને કોઈપણ બિલ પર નિર્ણય લેવાનો વિવેકાધિકાર આપે છે, તો સુપ્રીમ કોર્ટ આ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કેવી રીતે કરી શકે.