પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ વિરૂદ્ધ ભારતીય સેનાનું ઓપરેશન સફળ રહ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધું હતું અને પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત માટે રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કરી છે. આ દરમિયાન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે વાયુસેનાના ભુજ એરબેઝની મુલાકાત લેશે.
ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન પાકિસ્તાની સેનાએ ડ્રોનની મદદથી ભારતના ભુજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હવાઈ ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ પાકિસ્તાનના એક પછી એક હુમલાઓને સતત નિષ્ફળ બનાવ્યા. આખરે, કોઈ સફળતા ન મળતાં અને સતત લશ્કરી નુકસાન જોતાં પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે (આજે) ભુજ એરબેઝની મુલાકાત લેશે. રાજનાથ સિંહનો આ પ્રવાસ બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારનો રહેશે. રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે.
આ અગાઉ મંગળવારે પીએમ મોદીએ પાકિસ્તાનની સરહદથી માત્ર 100 કિમી દૂર સ્થિત આદમપુર એરબેઝ પર સૈનિકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કડક અંદાજમાં પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે ભારત તરફ નજર ઉઠાવનારનું પરિણામ વિનાશ થશે. પીએમ મોદીએ કહ્યું, “આતંકવાદ સામે ભારતની લક્ષ્મણ રેખા ખૂબ જ સ્પષ્ટ છે. હવે જો ફરીથી કોઈ આતંકવાદી હુમલો થશે તો ભારત જવાબ આપશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાએ આદમપુર એરબેઝ અને S-400 મિસાઈલ લોન્ચરને નષ્ટ કરવાનો ખોટો દાવો કર્યો હતો. જોકે, પીએમ મોદીએ એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના દાવાનો પર્દાફાશ કર્યો હતો.