અમદાવાદમાં ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20 મેના રોજ શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવશે. તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવા અંગેનો સર્વે શરૂ થઈ ગયો છે. ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ચંડોળામાંથી હજુ બે-ત્રણ લલ્લા બિહીરી જેવા લેન્ડ ગ્રેબિંગ માફિયાઓને ઝડપવામાં આવશે.
એસ્ટેટ વિભાગ દ્વારા જેમ જેમ દબાણ અંગેનો સર્વે થતો જશે અને મકાનો ખાલી હશે એ મુજબ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે હાલમાં આ મામલે કામગીરી કરવામાં આવી રહી છે. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ફરી ડિમોલિશન થશે. ચંડોળા તળાવમાં જેમ જેમ દબાણ દૂર થશે એમ એમ કેટલાક વિસ્તારોમાં બાઉન્ડરી વોલ અથવા ફેન્સિંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર અને એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં આગામી 20 મેના રોજ ફરી ડિમોલિશન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગેરકાયદે તમામ બાંધકામો તોડવામાં આવશે. ચંડોળા તળાવમાં આશરે 10,000 નાનાં-મોટાં કાચાં પાકાં મકાનો અને ઝૂંપડાં છે. વર્ષ 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યાં છે. ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને તેમનાં મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચંડોળા તળાવમાં જેટલાં પણ મકાનો આવેલાં છે એ તમામ મકાનોનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશન કરી 4000 કાચાં-પાકાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં, જેમાં જે ઘૂસણખોરો હતા તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. જે ભારતીય લોકો હતા અને તેનાં દબાણો દૂર થયાં છે. તેમાંના જે લોકો 2010 પહેલાં આ વિસ્તારમાં રહેતા હોય તેમને EWSના આવાસ ફાળવવાનો મહાનગરપાલિકાએ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.