ગુજરાતના નવસારીના વાંસદા તાલુકામાં યુવકની લગ્નીની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખાનપુર ગામના યુવકના સોમવારે (19 મે, 2025) બે યુવતી સાથે અને પોતાના 3 ત્રણ સંતાનોની સાક્ષીમાં લગ્ન થવા જઈ રહ્યાં છે, ત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. આદિવાસી સમાજની અનોખી પરંપરાથી યુવકના બે યુવતી સાથે લગ્ન થવાના છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામના રહેવાસી 36 વર્ષીય મેઘરાજભાઈના લગ્નની કંકોત્રીની ચર્ચા ચારેયકોર થઈ રહી છે. કંકોત્રીમાં તેમના લગ્ન બે યુવતી અને તેમના ત્રણ સંતાનોની સાક્ષીએ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. વાત એમ છે કે, મેઘરાજભાઈને ખાંડા ગામના કાજલ ગાવિત સાથે પ્રેમ થતાં તેમણે વર્ષ 2010માં સગાઈ કરી હતી. જો કે, આ પછી મેઘરાજભાઈને કેલીયા ગામના રેખા ગાઈન સાથે પણ પ્રેમ થતાં વર્ષ 2013માં તેમની સાથે સગાઈ કરી હતી. અનેક પરિવારોમાં લગ્નેતર સંબંધોને કારણે પરિવારો તૂટે છે પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે અહીં છેલ્લા 16 વર્ષથી મેઘરાજ દેશમુખની બંને પત્નીઓ સખીઓની જેમ રહે છે અને છ સભ્યોનો આ પરિવાર અન્ય પરિવાર માટે આદર્શ પરિવારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
એવું નથી કે દેશમુખ પરિવારમાં મેઘરાજભાઈ જ બે પત્નીઓ ધરાવે છે, તેમના પિતા અને તેમના દાદાએ પણ બહુ પત્નીત્વ ધારણ કર્યું હતું. આદિવાસી સમાજની કેટલાક પેટા જ્ઞાતિઓમાં બહુ પત્નીત્વ સામાન્ય બાબત ગણવામાં આવે છે. યુવાનની આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાને કારણે તેઓ લગ્ન જેવા ખર્ચાળ કાર્યક્રમ કરવાનું વર્ષોથી ટાળતા આવ્યા હતા પરંતુ હવે પરિવાર બે પાંદડે થતાં યુવાને પોતાના ત્રણે બાળકોની હાજરીમાં વટભેર બે પત્નીઓ ને ધાર્મિક માન્યતા આપવા જઈ રહ્યા છે, આ લગ્ન પ્રસંગ નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.