12 મી જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મૃતદેહોને તેમના સ્વજનોને સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સોમવાર મોડી સાંજ સુધીમાં કુલ 125 DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 83 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
હાલ જે મૃતદેહો સુપરત કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદના ૨૩, વડોદરાના 13, આણંદના 9, મહેસાણા અને ગાંધીનગરના 5-5, ખેડાના 3, અને જૂનાગઢ, અમરેલી, મહિસાગર, રાજકોટ, ઉદયપુર, જોધપુર, બોટાદ ખાતે 1-1 મૃતદેહનો સમાવેશ થાય છે.વહીવટી તંત્ર દ્વારા મૃતકોના સ્વજનોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તાત્કાલિક ધોરણે વીમા કંપનીઓ અને અન્ય સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં સરળતાથી કામ થાય તે માટે, સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મૃતકોના પેઢીનામા સહિતના દસ્તાવેજો પંચો અને સાક્ષીઓના આધારે આપવામાં વહીવટી તંત્ર મદદરૂપ થઈ રહ્યું છે
મૃતદેહો સોંપવાની કાર્યવાહી સરળતાથી અને સુચારુ રૂપે થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા 250થી વધુ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલનમાં છે. આ સમગ્ર કાર્યવાહીનું યોગ્ય રીતે સંચાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.