અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દિવના ચાર અને ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના એક વ્યક્તિ મળી કુલ પાંચ મૃતદેહ તેમના વતન પહોંચ્યા છે. આ તમામ મૃતદેહોને DNA પરીક્ષણ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપતા પહેલા DNA પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે મેચ થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
મૃતકોમાં દિવના ચાર લોકો અને જરગલી ગામના નીલ નામના વ્યક્તિનો સમાવેશ થાય છે. આ તમામ મૃતદેહો મોડી રાત્રે અમદાવાદથી રવાના થયા હતા. સૌપ્રથમ તેઓ ઉના ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને તેમના વતન તરફ મોકલવામાં આવ્યા હતા.
અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગીરગઢડા તાલુકાના જરગલી ગામના યુવાન નીલનો પાર્થિવ દેહ આજે સવારે તેના વતનમાં પહોંચ્યો હતો. લંડનમાં અભ્યાસ માટે જતા નીલના અકાળ અવસાનથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
નીલનો પાર્થિવ દેહ ઘરે પહોંચતાં જ તેની માતા અને બહેનના હૈયાફાટ રુદનથી ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદ રાજેશ ચુડાસમા, ઊનાના ધારાસભ્ય કે.સી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમાર, ડાયાભાઈ ઝાલોધરા અને ધર્મેશ રાખોલીયા પણ હાજર રહ્યા હતા.ગીરગઢડા મામલતદાર અને પી.આઈ. ચૌહાણ સહિત અનેક અધિકારીઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ નીલના ઘરે એકત્રિત થયા હતા. દરેકના ચહેરા પર શોક અને આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.