ભારતનું ચૂંટણી પંચ છેલ્લા 75 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. જે દેશમાં સમયાંતરે ચૂંટણી કરાવે છે. જે તે રાજકીય પક્ષે પોતાના ચિન્હ સાથે ચૂંટણી પંચમાં નોંધણી કરાવવાની હોય છે. જોકે હવે ચૂંટણી પંચ 345 રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચે આવો નિર્ણય કેમ લીધો છે? આવો જાણીએ.
ભારતના ચૂંટણી પંચ પાસે 2800થી વધુ પક્ષોએ નોંધણી કરાવેલી છે. આ પક્ષોનો રજિસ્ટર્ડ અનરજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝની યાદીમાં સમાવેશ થાય છે. પરંતુ આ 2800થી વધુ રાજકીય પક્ષો પૈકી કેટલાક એવા પક્ષો છે, જેઓ ન તો ચૂંટણી લડી રહ્યા છે અને ન તો તેમની હાજરી સાબિત કરી શક્યા છે. ચૂંટણી પંચે આવા 345 રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવાનો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે.
ચૂંટણી પંચે જે 345 રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે, તે પક્ષોએ છેલ્લા 6 વર્ષમાં એક પણ ચૂંટણી લડી નથી અને તેમના રજિસ્ટર્ડ સરનામે કોઈ કાર્યાલય મળ્યું નથી. તેથી ચૂંટણી પંચના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 29એ અને ચૂંટણી પ્રતીક (અનામત અને ફાળવણી) આદેશ, 1968 હેઠળ, તેની નોંધણી રદ કરવામાં આવશે. આ નિયમો જણાવે છે કે, જો કોઈ નોંધાયેલ પક્ષ સતત 6 વર્ષ સુધી લોકસભા, વિધાનસભા અથવા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાગ નથી લેતો, તો ચૂંટણી પંચ તેની નોંધણી રદ્દ કરી શકે છે.
રજિસ્ટર્ડ અનરજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝમાં નોંધાયેલા પક્ષો કાં તો નવા નોંધાયેલા હોય છે, અથવા એવા પક્ષો હોય છે જેમને વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં રાજ્ય કે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટે પૂરતા મત મળ્યા નથી, અથવા જેમણે નોંધણી પછી ક્યારેય ચૂંટણી લડી નથી. આવા પક્ષોને માન્યતા પ્રાપ્ત પક્ષો જેવી બધી સુવિધાઓ મળતી નથી, પરંતુ તેમને સામાન્ય ચૂંટણી પ્રતીકની ફાળવણી જેવા કેટલાક અધિકારો મળે છે.