અમેરિકાના શોર્ટસેલર હિંડનબર્ગે ગૌતમ અદાણીની આગેવાનીના અદાણી જૂથની સામે શેરોમાં ગેરરીતિ
કરવાના અને શેલ કંપનીઓ રચીને લિસ્ટેડ કંપનીમાં નાણા ટ્રાન્સફર કરવાના આક્ષેપો કર્યા હતા તેને
સેબીએ ફગાવી દીધા છે. સેબીએ બે જુદાં-જુદા આદેશમાં જણાવ્યું હતું કે તલસ્પર્શી તપાસના અંતે
ઇનસાઇડર ટ્રેડિંગ, શેરોમાં ગેરરીતિ અને પબ્લિક શેરહોલ્ડિંગના ધારાધોરણોના ભંગના આરોપો
પાયાવિહોણા હોવાનું જણાયું છે. તેથી અદાણી જૂથ કસૂરવાર ઠરતું નથી અને તેને કોઈ દંડ કરવાની પણ
જરૂર નથી.
હિંડનબર્ગે જાન્યુઆરી 2023માં અદાણી જૂથ સામેના રિપોર્ટ દ્વારા આખા બજારને હચમચાવી નાખ્યું હતું.
તેના રિપોર્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એડીકોર્પ એન્ટરપ્રાઇઝિસ પ્રાઇવેટ લિમિટેડ, માઇલસ્ટોન
ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ અને રેહવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડના રુટે અદાણી જૂથની લિસ્ટેડ
કંપનીઓ અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડમાં નાણા ઠાલવ્યા હતા. અદાણી જૂથ પર
શેલ કંપનીઓ થકી સંબંધિત પક્ષના વ્યવહારો છુપાવવાનો અને એકાઉન્ટિંગ અનિયમિતતાઓ, સ્ટોક
મેનીપ્યુલેશનના આરોપ મૂકવામાં આવ્યા હતા.