મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ૪ ખાનગી હોસ્પિટલમાંથી ૨ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૨ હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી હતી. મોડી રાત સુધી આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયા સ્વયં સંકળાયા હતા અને આરોગ્ય સચિવ તથા વિભાગને 4 હોસ્પિટલ સામે પગલા લેવા તાત્કાલિક નિર્દેશ આપ્યો હતો.
પંચમહાલના ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, અને ભરૂચની કાશીમા હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવેલ જયારે પંચમહાલની કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, તથા દાહોદના દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેરને કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
આ બાબતે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ નિવેદન આપતા જણાવ્યું કે “રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છે પીએમજેએવાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. વધુમાં આરોગ્ય પ્રધાને જણાવ્યું કે ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.






