ભાવનગર,તા.9
ભાવનગરની સરકારી સાર તખ્તસિંહજી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં દાખલ થયેલા ચાર નવજાત શિશુઓ (ક્વાડ્રુપ્લેટ્સ) ને કુલ 63 દિવસ ની સફળ અને સુવ્યવસ્થિત તેમજ સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથેની પરીસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આ દંપતિ છેલ્લા 15 વર્ષથી નિ:સંતાન હતા અને IVF પદ્ધતિ દ્વારા ગર્ભધારણ થતા માતાએ ચાર અતિ કુમળા, અપરિપક્વ, અધૂરા મહિને ખૂબ જ ઓછા વજન વાળા નવજાત શિશુઓને જન્મ આપ્યો હતો. આ પરિવાર તળાજા તાલુકાના ભાળર ગામનો રહેવાસી છે.બાળકોના પિતા વ્યવસાયે બાંધકામ મજૂર છે. ચારેય બાળકોનો જન્મ અત્યંત ઓછા જન્મ વજન (Extremely Low Birth Weight) સાથે થયો હતો અને ખાનગી હોસ્પિટલમાંથી તેઓને વિશેષ સઘન સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે બાળ આરોગ્ય વિભાગ માં રીફર કરવામાં આવ્યા હતાં.
જેમાં જન્મ તથા ડિસ્ચાર્જ સમયે વજનની વિગતોમાં પ્રથમ બાળક: જન્મ વજન – 850 ગ્રામ, ડિસ્ચાર્જ વજન – 1.350 કિલોગ્રામ. બીજું બાળક:જન્મ વજન – 800 ગ્રામ, ડિસ્ચાર્જ વજન – 1.570 કિલોગ્રામ. ત્રીજું બાળક:જન્મ વજન – 780 ગ્રામ,ડિસ્ચાર્જ વજન – 1.450 કિલોગ્રામ અને ચોથું બાળક: જન્મ વજન –820 ગ્રામ ડિસ્ચાર્જ વજન – 1.440 કિલોગ્રામ હતું
સર ટી. હોસ્પિટલના NICU વિભાગમાં દાખલ કરીને કરવામાં આવેલ સઘન સારવાર દરમિયાન આ ચારેય બાળકોને કુલ 21 દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો તેમજ 9 દિવસ સુધી ઓક્સિજન થેરાપી આપવામાં આવી હતી. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ઓક્સિજન, IV એન્ટીબાયોટિક્સ, ડાયરેક્ટર ફેફસાં માં ઈન્જેક્શન સ્વરૂપ માં અપાયેલ સર્ફેક્ટન્ટ થેરાપી,આરટી ફીડિંગ, કાંગારૂ માતૃ કાળજી(KMC), જેવી જરૂરી બેઝિક તેમજ અદ્યતન એમ તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી.
ચારેય નવજાત શિશુઓનું રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યુરિટી (ROP) માટે સમયસર સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તે અંગે જરૂરી સારવાર અને સલાહ આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ (રજા) આપતા પહેલાં આ તમામ નવજાત શિશુઓ નું 2D ઇકોકાર્ડિયોગ્રાફી તથા અલ્ટ્રાસોનોગ્રાફી (USG) દ્વારા પણ સંપૂર્ણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
ડિસ્ચાર્જ સમયે માતા-પિતાને કાંગારૂ મધર કેર (KMC) તથા ઘરે ગયા પછી આ કુમળા નવજાત શિશુ ઓ માટે આગળની આવશ્યક સાર સંભાળ માટે વિગતવાર માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી.
આ સફળ સારવાર સર ટી. હોસ્પિટલની બાળઆરોગ્ય વિભાગની નિષ્ણાત મેડિકલ તથા નર્સિંગ ટીમના સંયુક્ત સઘન પ્રયાસોથી જ શક્ય બની છે. આ ટીમમાં ડૉ. મેહુલ એમ. ગોસાઈ પ્રોફેસર અને વિભાગ વડા (HOD), ડો. અલ્પા પારેખ, ડો. કમલેશ ઉનડકટ, ડૉ. અરવિંદ કુચા, ડો. ચંદન નરવાણી, ડો. મેહુલ પટેલિયા, ડો. હરદેવ મોરી, ડૉ. ડિમ્પલ પટેલ, ડૉ. શિપ્રા અગ્રવાલ, ડો. હિનલ ગુજરાતી, ડો. આરાધના બા ગોહિલ, ડો. મૈત્રી ચૌહાણ, ડો. દિવ્યા બલદાણિયા, ડૉ. સંગીતા કોડિયાતર, ડૉ. ગણેશ બારેયા તેમજ તમામ રેસિડેન્ટ તબીબો ડો.ઝેન મર્ચન્ટ, ડો.નિકુંજ, ડો.પાયલ, ડો. નિકુંલ,ડો.અંજના, ડો.પ્રિયંકા, ડો.નંદિની, ડો. ઉમંગ, ડો.અંકિતા, દિલીપભાઈ પટેલનર્સિંગ હેડ અને તમામ નર્સિંગ સ્ટાફ ખૂબ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સર ટી જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતેના બાળ આરોગ્ય વિભાગમાં કાર્યરત NICU/SNCU દ્વારા આપવામાં આવતી ઉચ્ચ કક્ષાની નવજાત શિશુની સઘન સારવાર, સેવાઓ, એ સરકારી આરોગ્ય વ્યવસ્થાની ક્ષમતા અને ટીમવર્ક અને ડીન ડો.ચિન્મય શાહ, અધિક ડીન ડો. અમિત પરમાર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.અશોક વાળા, આર.એમ.ઓ. ડો.તુષાર આદેશરા, વિભાગીય વડા ડો. મેહુલ ગોસાઈ અને NICU ઈન્ચાર્જ ડો. અરવિંદ કૂચા ના સહકાર ભર્યા અને સક્ષમ નેતૃત્વ નું આ એક પ્રેરણાદાયક નોંધપાત્ર ઉદાહરણ છે, જેના પરિણામે અત્યંત ઓછા જન્મ વજન ધરાવતા ચારેય નવજાત શિશુઓને સ્વસ્થ હાલતમાં પારિવારિક હર્ષોલ્લાસ સાથે ઘરે મોકલવા શક્ય બન્યું હતું.
