કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ જ મહિને દિલ્હી પહોંચશે. આ મુલાકાત એવા સમયે અત્યંત મહત્વની માનવામાં આવે છે જ્યારે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને વેપારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની મળીને બંને દેશોના સંબંધોનું ‘રીસેટ બટન’ દબાવશે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચે જે ખટાશ અને કડવાશ પેદા થઈ હતી, તે હવે મિત્રતામાં પરિણમે તેવી શક્યતા છે. નિષ્ણાતોનું મંતવ્ય છે કે, કાર્નીના આ પગલાથી ભારતના ડિફેન્સ અને ટેકનોલોજી સેક્ટર માટે પ્રગતિના નવા દ્વારા ખુલી શકે છે.
માર્ક કાર્ની 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2026 સુધી ઇન્ડો-પેસિફિક પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ 26 ફેબ્રુઆરીએ ભારત આવશે. તેઓ પોતાની ભારત મુલાકાતની શરૂઆત મુંબઈથી કરશે. જ્યાં તેઓ દેશના મોટા બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. તેમનો હેતુ કેનેડામાં ભારતીય રોકાણને પ્રોત્સાહન આપવાનો અને બંને દેશોની કંપનીઓ વચ્ચે ભાગીદારી મજબૂત કરવાનો રહેશે. ત્યારબાદ તેઓ નવી દિલ્હી પહોંચશે, જ્યાં વડાપ્રધાન મોદી સાથે તેમની દ્વિપક્ષીય વાતચીત થશે.ભારતની ક્લીન એનર્જી અને વધતી જતી વીજ જરૂરિયાતોને પૂરી કરવા માટે આ સૌથી મોટી ડીલ હોઈ શકે છે. અહેવાલો અનુસાર, કેનેડાની કંપની ‘કમેકો’ ભારતને આગામી 10 વર્ષ સુધી યુરેનિયમ સપ્લાય કરવા માટે લગભગ 2.8 બિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.
સૌથી વધુ ચર્ચા ‘કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ’ અંગે છે. ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. આ ડીલ હેઠળ ખેતી, કઠોળ, ડિજિટલ કોમર્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ટેક્સ ઘટાડવામાં આવી શકે છે.




