રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી જેને મોટાભાગના દેશોનું સમર્થન મળ્યું છે.
રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા આક્રમણની ચોથી વરસી પર સંયુક્ત રાષ્ટ્રમાં ‘યુક્રેનમાં સ્થાયી શાંતિ માટે સમર્થન’ શીર્ષક હેઠળ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 193 સભ્યોની મહાસભામાં આ પ્રસ્તાવના પક્ષમાં 107 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે 12 દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ પ્રસ્તાવમાં રશિયા અને યુક્રેન વચ્ચે તાત્કાલિક, પૂર્ણ અને બિનશરતી યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી.
ભારતે આ વખતે પણ રશિયા-યુક્રેન વિવાદમાં પોતાનું તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ભારતે આ પ્રસ્તાવ પરના મતદાનમાં હિસ્સો લીધો નહોતો. ભારત ઉપરાંત અમેરિકા, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને યુએઈ જેવા કુલ 51 દેશોએ આ મતદાન પ્રક્રિયાથી અંતર રાખ્યું હતું. ભારતનું માનવું છે કે કોઈપણ વિવાદનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં પરંતુ સંવાદ અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ પ્રસ્તાવનું સમર્થન કરનાર તમામ 107 દેશોનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ શાંતિ અને નાગરિકોની સુરક્ષા માટેનું મહત્વનું પગલું છે. બીજી તરફ યુએઈના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ યુદ્ધને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને માનવતા પર કલંક ગણાવ્યું હતું. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે 2025 માં યુક્રેનમાં સૌથી વધુ નાગરિકોના મોત થયા છે, જે અત્યંત અસ્વીકાર્ય છે.


