મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે હવે ભારતમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 115 રૂપિયાનો વધારો થયો છે. જેનાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના કારોબારીઓ પર અસર પડશે. સૂત્રો અનુસાર નવા દરો 7 માર્ચથી જ અમલી થઈ ગયા છે.
ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી છે. જેના કારણે ત્યાંથી આયાત થતા તરલ પદાર્થોની કિંમતમાં વધારો થયો છે. તેથી ભારતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 853 રૂપિયાથી વધીને 913 રૂપિયા થઈ ગઈ છે.
ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાને હોર્મુઝ ખાડીના રસ્તે આયાત થતા એલએનજીનો પૂરવઠો પ્રભાવિત થયો છે. જેના કારણે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. હોર્મુઝમાંથી એલએનજીનો પુરવઠો 28 ફેબ્રુઆરીથી રોકાઈ ગયો છે. તેનાથી આશરે 20 ટકા વૈશ્વિક એલએનજી પુરવઠો અસ્થાયી રીતે પ્રભાવિત થયો છે. જેના કારણે એશિયન આયાત બજારોમાં ચિંતા વધી ગઈ છે. ભારતના એલએનજી પુરવઠાનો મોટો હિસ્સો કતાર અને યુએઈથી હોર્મુઝ ખાડીના રસ્તે આવે છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ એપ્રિલ 2025થી સ્થિર હતા. દિલ્હીમાં ઘરેલું રાંધણ ગેસના ભાવનો દર 853 રૂપિયા હતો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ ગઈકાલે કહ્યું હતું કે કે દેશમાં ઊર્જાની કોઈ અછત નથી અને ગ્રાહકોએ સપ્લાયમાં વિક્ષેપ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિકતા આપણા નાગરિકો માટે સસ્તું અને ટકાઉ ઈંધણ ઉપલબ્ધ કરાવવાની છે અને અમે તે ખૂબ જ સારી રીતે કરી રહ્યા છીએ. ભારતમાં ઊર્જાની કોઈ અછત નથી અને અમારા ઊર્જા ગ્રાહકો માટે ચિંતાનું કોઈ કારણ નથી. દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એ અહેવાલોને નિરાધાર ગણાવીને ફગાવી દીધા હતા, જેમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનું સૂચવવામાં આવ્યું હતું.
કંપનીએ એક્સ પર એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતમાં ઈંધણનો પૂરતો સ્ટોક છે અને સપ્લાય તથા વિતરણ નેટવર્ક સામાન્ય રીતે કાર્ય કરી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ સમગ્ર દેશમાં અવિરત ઈંધણ પુરવઠો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. નાગરિકોને વિનંતી છે કે તેઓ ગભરાય નહીં અને પેટ્રોલ પંપ પર ભીડ ન કરે તથા સચોટ માહિતી માટે માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ ભરોસો રાખે.



