મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. સૂત્રો કહે છે કે આ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું છે કે હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી.
મંત્રાલયે એલપીજી સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો ત્રણ દિવસ પહેલા 15 દિવસથી વધારીને 21 દિવસ કર્યો હતો, પરંતુ હવે આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોએ હવે બે સિલિન્ડર બુક કરવા વચ્ચે 24 દિવસનો તફાવત જાળવવો પડશે.સ્થાનિક ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત છે. દેશમાં ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અને સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી ઔદ્યોગિક વપરાશ માટેના લિક્વિફાઈડ નેચરલ ગેસના જથ્થાને હવે ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરેલું ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ ફેરફાર કે રેશનલાઈઝેશન (કપાત) કરવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાને ભાવવધારામાંથી મોટી રાહત મળી શકે તેમ છે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, બે દિવસ પહેલા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹114.5 નો વધારો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ અનુસાર, સબસિડી વગરના 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડર હવે દિલ્હીમાં 913માં ઉપલબ્ધ થશે, જે અગાઉ 853 હતી.
ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા
સરકારે સ્પષ્ટતા કરી છે કે જો આંતરરાષ્ટ્રીય કટોકટીને કારણે એલપીજી પુરવઠો પ્રભાવિત થાય છે, તો પહેલા ઘરેલુ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. આ માટે, ઘરેલુ ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચે 25 દિવસનો ગાળો ફરજિયાત કરવામાં આવ્યો છે. સંગ્રહખોરી અને ગભરાટ-ખરીદી અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
એલપીજી ઉત્પાદન વધારવા સરકારના સક્રિય પ્રયાસો
સરકાર હાલમાં એલપીજી ઉત્પાદન વધારવા, વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા અને ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. વૈશ્વિક ઉર્જા બજારની પરિસ્થિતિ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ઉર્જા નિષ્ણાતો કહે છે કે રાંધણ ગેસ દેશના લાખો પરિવારોના રોજિંદા જીવનનો અભિન્ન ભાગ છે, તેથી સરકાર ઇચ્છતી નથી કે આ પુરવઠો કોઈપણ સંજોગોમાં પ્રભાવિત થાય.




