ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની 71 નગરપાલિકાઓ માટે મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નગરપાલિકાઓની 5 વર્ષની મુદત માર્ચ-2026માં પૂર્ણ થતી હોવાથી, આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાય અને નવી કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી વહીવટી પ્રક્રિયા ખોરવાય નહીં તે માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.
સરકારના આદેશ અનુસાર, નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ-8 મુજબ ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટદારો નગરપાલિકાના રોજિંદા કાર્યો જેવા કે પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન અને સફાઈ જેવી આવશ્યક સેવાઓનું સંચાલન કરશે. જોકે, વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ કોઈપણ નીતિ વિષયક મોટા નિર્ણયો લઈ શકશે નહીં.અલગ-અલગ જિલ્લાઓની નગરપાલિકાઓના ક્લાસ મુજબ મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.



