ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે
યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમના વાર્ષિક અહેવાલને સખત શબ્દોમાં ફગાવી દીધો
છે. આ અહેવાલમાં અમેરિકી પ્રશાસનને એવી ભલામણ કરવામાં આવી હતી કે વોશિંગ્ટનની સુરક્ષા
સહાય અને દ્વિપક્ષીય વેપારને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિમાં સુધારા સાથે જોડવામાં આવે.
ભારતે આ અહેવાલને પક્ષપાતી અને પ્રેરિત ગણાવીને તેની ટીકા કરી છે.
અહેવાલમાં ભારત પર ધાર્મિક સ્વતંત્રતાના કથિત ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું
જ નહીં, આ સંસ્થાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ જેવી સંસ્થાઓ અને
વ્યક્તિઓ પર લક્ષિત પ્રતિબંધો લાદવાની હિમાયત કરી છે. ભારત સરકાર ભૂતકાળમાં પણ આ સંસ્થાના
અહેવાલોને નકારતી આવી છે અને આ વખતે પણ વિદેશ મંત્રાલયે તેને સમાન રીતે જવાબ આપ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે,
USCIRF સતત ભારતનું વિકૃત અને પસંદગીયુક્ત ચિત્ર રજૂ કરી રહ્યું છે, જે શંકાસ્પદ સ્ત્રોતો અને
વૈચારિક કથા પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે આવી વારંવારની ખોટી રજૂઆતોથી કમિશનની
પોતાની વિશ્વસનીયતા જોખમાય છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ અહેવાલ તથ્યોથી વેગળો છે.
ભારતે અમેરિકાને અરીસો બતાવતા સૂચન કર્યું હતું કે USCIRF એ ભારતની ટીકા કરવાને બદલે
અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલા અને તોડફોડની ઘટનાઓ પર ધ્યાન આપવું જોઈએ.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાના સભ્યો સામે વધતી અસહિષ્ણુતા અને
ધાકધમકીના કિસ્સાઓ ગંભીર ચિંતાનો વિષય છે અને તેના પર ધ્યાન આપવાની વધુ જરૂર છે.



