આંધ્રપ્રદેશના માર્કપુર જિલ્લામાં રાયવરમ નજીક આજે એક માર્ગ અકસ્માત થયો. સ્લેબ ખાણો પાસે એક ખાનગી ટ્રાવેલની બસ ટ્રક સાથે અથડાતાં ૧૪ લોકોના મોત થયા હતા.જ્યારે અન્ય લોકો ઘાયલ પણ થયા હતા.
માર્કપુરના ડીએસપી હર્ષવર્ધન રાજુએ અકસ્માતનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, બસ જાગિત્યાલાથી કાલીગિરી જઈ રહી હતી. ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ અને તે સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ.
ડીએસપી રાજુના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઘણા મુસાફરો જીવતા બળી ગયા હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત આજે સવારે થયો હતો. તેમણે કહ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગંભીર ટક્કરને કારણે બસમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ માર્કપુર જિલ્લામાં રાયવરમ નજીક માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અકસ્માતમાં બળીને મૃત્યુ પામેલા બસમાં સવાર અનેક મુસાફરોના મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓ સાથે વાત કરી અને ઘટના વિશે પૂછપરછ કરી. તેમણે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવા અને ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હરિકૃષ્ણ ટ્રાવેલ્સની માલિકીની બસ તેલંગાણા રાજ્યના નિર્મલથી નેલ્લોર જઈ રહી હતી. સીએન નાયડુએ અધિકારીઓને અકસ્માતના કારણની સંપૂર્ણ તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.



