કેરલ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેરલમની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીમાં ભાજપ અને લેફ્ટ ફ્રન્ટ પોતાની સત્તા જાળવી રાખી હેટ્રિક લગાવવા માંગે છે, જ્યારે કોંગ્રેસ બંને રાજ્યોમાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા પોતાના સત્તાના વનવાસને ખતમ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
કેરલમની 140 બેઠકો પર 883 ઉમેદવારો મેદાનમાં છે, જેમના માટે 2.71 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વિકાસના મુદ્દે ત્રીજી વખત સત્તામાં આવવા આશાવાદી છે. બીજી તરફ, કોંગ્રેસના નેતૃત્વવાળું યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) રાહુલ અને પ્રિયંકા ગાંધીના આક્રમક પ્રચારના જોરે વાપસી કરવા માંગે છે. અહીં ભાજપ પણ પોતાની તાકાત વધારીને જંગને ત્રિપાંખિયો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો 2.50 કરોડ મતદારો કરશે. અહીં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિકના ઈરાદે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને 10 વર્ષનો વનવાસ ખતમ કરવા દાવ ખેલ્યો છે. આસામમાં આ વખતે પરિસીમન પછી પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે, જેમાં મુસ્લિમ બહુલ બેઠકોની સંખ્યામાં ફેરફાર થયો છે. બદરુદ્દીન અજમલની AIUDF પાર્ટી આ વખતે અલગ ચૂંટણી લડીને મુસ્લિમ મતોના આધારે જંગને રસપ્રદ બનાવી રહી છે.
કેરલમ: અહીં ખ્રિસ્તી અને મુસ્લિમ મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે. LDF એ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓને હથિયાર બનાવ્યું છે, જ્યારે યુડીએફ એ સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવાની રણનીતિ અપનાવી છે.
આસામ: અહીં ચાના બગીચાના મજૂરો (36 બેઠકો પર અસર) અને અહોમ સમુદાયના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપ ધ્રુવીકરણ અને વિકાસ પર જોર આપી રહી છે, જ્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને મોંઘવારીને મુદ્દો બનાવી રહી છે.



