પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં ચાલી રહેલો ઈથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) પ્રોગ્રામ વૈજ્ઞાનિક રીતે માન્ય છે અને સરકાર દ્વારા તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ મીડિયા પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે કેટલાક ભ્રામક અને પાયાવિહોણા દાવા કરવામાં આવી રહ્યા છે. જનતાને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક જૂના વીડિયો અને તસવીરો ફરી વાઇરલ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને સરકાર સંપૂર્ણ સજગ છે અને જરૂરી પગલાં ભરી રહી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ગાડીની પેટ્રોલ ટાંકી પાસે કીડીઓ ભેગી થયેલી દેખાતી હતી. મંત્રાલયે આ વીડિયોને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે એન્જિન બગડવાની કે વાહન ખોટકાવવાની કોઈ મોટી સમસ્યા ક્યાંય પણ સામે આવી નથી.દેશમાં ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા, ઊર્જા સુરક્ષા વધારવા અને પર્યાવરણની જાળવણીના અદભુત ઉદ્દેશ્ય સાથે વર્ષ 2003માં ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તમામ ટેક્નિકલ તૈયારીઓ અને હિતધારકો સાથે પરામર્શ કરીને આ પ્રોગ્રામને તબક્કાવાર રીતે દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. વર્ષ 2023થી દેશમાં 20% ઈથેનોલ મિશ્રણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઓટોમોબાઈલ ઉત્પાદકો અને ફ્યુઅલ ટેસ્ટિંગ એજન્સીઓ સાથે મળીને આ કાર્યક્રમની સતત દેખરેખ રાખે છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ એ વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવતી પદ્ધતિ છે અને દુનિયાના ઘણા દેશોમાં તેને સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. આ પ્રોગ્રામના કારણે ભારતને અત્યાર સુધીમાં 1.40 લાખ કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા (ફોરેક્સ રિઝર્વ) બચાવવામાં મોટી સફળતા મળી છે. આ ઉપરાંત આ નીતિથી સ્થાનિક સ્તરે ખેડૂતોની આવકમાં પણ મોટો વધારો થયો છે. એકંદરે આ કાર્યક્રમ ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે અત્યંત મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે.






