મહિમાવંત સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી થશે. બગદાણા સહિત ગુરુસ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમોના આયોજનો થયાં છે.
ભારતવર્ષ માટે વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, આ પર્વનું મહાત્મ્ય ખૂબ રહેલું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા આપણી સનાતન પરંપરા અને ગુરુ શિષ્યનું મહત્વ સમાજને મળતું રહે છે. આ પર્વની ઠેર ઠેર ઉજવણી થતી રહે છે.
આગામી બુધવાર એટલે ગુરુપૂર્ણિમા, આ મહિમાવંત સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં ગુરુ આશ્રમ બગદાણા સહિત નાના મોટા આશ્રમો અને ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી થશે, જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
ભાવિકોમાં ભારે આસ્થા છે તેવાં સંતો ગુરુઓ બજરંગદાસ બાપુ, ધનાબાપા, મોંઘી બા, શામળાબાપા, ગોપાલગીરીબાપુ, મસ્તરામબાપા, ગંગા માતાજી, દુઃખીશ્યામબાપુ, મદનમોહનદાસ બાપુ વગેરેનાં આસ્થા સ્થાનોમાં ભાવિક સેવકો દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ આયોજનો થતાં રહે છે. ગોહિલવાડના આ ગુરુસ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમોના આયોજનો થયાં છે, જે માટે ઠેર ઠેર સેવક કાર્યકર્તાઓ તૈયારીમાં રહ્યાં છે.



