ભાવનગર જિલ્લાના પાલિતાણાના પોપડા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર બનતા સામસામે મારામારીની ઘટના બની છે. આ મામલે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, હીરાઘસવાનું કામ કરતા સલીમશા ભીખુશા પરમાર (રહે. પચાસ વારિયા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, મિત્ર અશફાકભાઈએ વિજયભાઈ પાસેથી ઉછીના લીધેલા પૈસાના સમાધાન બાબતે તેઓ રાજુભાઈના કારખાનાએ ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થતા વિજયભાઈ શિવાભાઈ ચૌહાણે ઉશ્કેરાઈને ગાળો આપી હીરા ઘસવાના કટોરાથી સલીમશાના કપાળ અને માથાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જયારે સામાપક્ષે, વિજયભાઈ શિવાભાઈ ચૌહાણ (રહે. વીરપુર) દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ કારખાનામાં મેનેજર અશફાક સુમારભાઈ દલ પાસે હીરા ઘસવાની ડાય માંગતા અશફાકે ડાય આપવાની ના પાડી ગાળો આપી હતી. ત્યારબાદ અશફાક અને તેના ભાઈ નાસીરે સલીમ તથા અન્ય માણસોને બોલાવી વિજયભાઈ પર હીરા ઘસવાની સ્ટીલની કટોરીથી હુમલો કરી માર માર્યો હતો અને બાદમાં જહાંગીરભાઈ છરી લઈને આવીને ધમકીઓ આપી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.





