દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાની પેટર્નમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં કેટલાક રાજ્યોમાં વરસાદ નબળો પડવાને કારણે રાહત મળી રહી છે, તો બીજી તરફ પૂરગ્રસ્ત ઓડિશામાં હજુ પણ મુશ્કેલીઓ યથાવત છે અને આગામી દિવસોમાં વરસાદનું જોખમ વધુ વધી શકે છે.
ઓડિશામાં પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાંથી હજુ સુધી સંપૂર્ણ રાહત મળી નથી. રાજ્યના કેન્દ્રપારા, ભદ્રક અને જાજપુર સહિતના જિલ્લાઓના હજુ પણ ૧૮૭ ગામો પૂરમાં ઘેરાયેલા છે, જ્યાં આશરે 76,000 લોકો પૂરના પાણીથી પ્રભાવિત છે. આ ચોમાસામાં ભારે વરસાદને કારણે ઓડિશા પહેલેથી જ બે વાર પૂરનો ભોગ બની ચૂક્યું છે, જેનાથી ૧,૮૯૫ ગામોના લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે રાજ્યની મુખ્ય નદીઓનું પાણીનું સ્તર હાલ ખતરાના નિશાનથી નીચે વહી રહ્યું છે. સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) કાર્યાલય દ્વારા રાહત અને પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે
પરંતુ, મુશ્કેલીઓ હજુ ટળી નથી કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ 2 સપ્ટેમ્બર સુધી ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાનારા નવા લો-પ્રેશરને કારણે બાલાસોર, મયુરભંજ, ભદ્રક, કેઓંઝર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને ૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન દરિયામાં ન જવાની સખત સલાહ આપવામાં આવી છે.
રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ચોમાસું નબળું પડ્યું
બીજી બાજુ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ચોમાસાની પ્રવૃત્તિઓ નબળી પડી રહી છે. રાજસ્થાનમાં ચોમાસાની ચાપ ઉત્તર ભારત તરફ ખસતાં આગામી ચાર દિવસ સુધી વરસાદ નબળો રહેવાની અને મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સ્વચ્છ રહેવાની ધારણા છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ૨૧ ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જોકે તાજેતરમાં કોટા અને ભરતપુર વિભાગમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે.






