ભચાઉ તાલુકાના ચોપડવા નજીક રાત્રે સાડા ત્રણ વાગ્યા આસપાસ ગંભીર અકસ્માત થયો હતો. જેમાં આદીપુરના બે યુવાનો કારમાં જતાં હતા ત્યારે એક અજાણ્યા ભારે વાહનના ચાલકે કારને ટક્કર મારતા કાર માર્ગની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જે અકસ્માતમાં યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ પહોચે તે પહેલા જ બંને યુવાનોના મોત થયા હતા.
આ અંગે ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આઈ-૨૦ કારને કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે ભટકાડતા કાર ધડાકાભેર માર્ગની રેલિંગ સાથે અથડાઇ હતી. જેથી કારનો આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામ્યો હતો અને કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને કારણે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં આદીપુરના ૫-વાડી, રામદેવપીર મંદિર પાસે રહેતા ૨૬ વર્ષીય મનીષ રસીકભાઈ કાતરીયા અને આદિપુરના સીડીએક્સ-એ-૧૩૪, ૪ વાડીમાં રહેતા ૨૬ વર્ષીય ભાવેશ શામજીભાઈ પરમાર આઈ-૨૦ કારાથી રાપરથી આદિપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર બાદ કાર ધડાકાભેર માર્ગની રેલિંગ સાથે અથડાતાં યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.