નવી દિલ્હી સીએએ લાગુ કરાયા પછી કેન્દ્ર સરકારે અરજી કરવા વેબ પોર્ટલ indiancitizenshiponline.nic.in લોન્ચ કર્યું છે. તેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફ્ઘાનિસ્તાનતી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી મળીને 6 લઘુમતી સમાજના પ્રવાસીઓ નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકશે.
પોર્ટલ પર કેટલાક સવાલોના જવાબો અને 50 રૂપિયાની ફી ભરવાની રહેશે. ત્યાર પછી અરજી મળશે. અરજીની સાથે સંબંધિત દેશના 9 પૈકી કોઈ એક દસ્તાવેજની નકલ અપલોડ કરવાની રહેશે. પછી પ્રિન્ટ લઈને નિશ્ચિત અધિકારી પાસે જવાનું રહેશે. ત્યાં દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે. ભારત આવવા માટે જરૂરી એવા 20 પ્રકારના દસ્તાવેજમાંથી કોઈ એક રજૂ કરવો પડશે.
CAAનો ભારતીય મુસ્લીમો સાથે કોઈ સંબંધ નથી
ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે સીએએને ભારતીય મુસ્લીમો સાથે નિસબત નથી. તેમની પાસે હિંદુઓ જેવા જ અધિકારો છે. આ કાયદો ઘૂસણખોરોના દેશનિકાલ સાથે પણ સંબંધિત નથી. બંધારણની છઠ્ઠી યાદી હેઠળ પૂર્વોત્તરના સંરક્ષિત આદિવાસી વિસ્તારોમાં આ કાયદો લાગુ નહીં થાય. આ વિસ્તારોમાં ઇનર લાઇન પરમિટ લેવી પડે છે. તેમાં અરુણાચલ, નાગાલૅન્ડ, મિઝોરમ, મણિપુર સમાવિષ્ટ છે.