ગુજરાતમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના વિવાદી વિધાનો પર ક્ષત્રિય સમાજે માંડેલા મોરચામાં હવે સમાધાનની કોઈ આશા ન દેખાતા ગુજરાત ભાજપ મોવડીમંડળ ફરી એક વખત હવે નિર્ણય દિલ્હી પર ઠેલ્યો છે.
એક તરફ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ પોતે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે અને તેઓ હાજરી આપવા ભરી સભામાં આમંત્રણ આપી દીધું છે પણ ગઈકાલે જે રીતે ધ્રાંગધ્રામાં ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન મળ્યુ અને તેમાં પણ આર-પારની લડાઈના ટંકાર થયા પછી ગાંધીનગરમાં ફરી એક વખત ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના નિયમો ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. તેમાં કોઈ ઉકેલ શોધવા અથવા ક્ષત્રિય આંદોલનનો રાજકીય મુકાબલો કઈ રીતે કરવો તે અંગે ચર્ચા થઈ છે પણ મૂળ પ્રશ્ર્ન તો રૂપાલાની ટિકીટ રદ કરવાનો છે તે અંગે તો દિલ્હી જ નિર્ણય લઈ શકે.
ભાજપના વધુ કાર્યક્રમોમાં ક્ષત્રિય આંદોલનકારીઓ વિરોધ પ્રદર્શન કરે તેવી સ્થિતિ છે અને તેથી અનેક બેઠકોમાં વિરોધ અને અનેક ગામોમાં રૂપાલા મુદે ભાજપને પ્રવેશબંધી થઈ છે તે પણ મોવડીમંડળ માટે ચિંતા છે. બે દિવસમાં પક્ષના નંબર-ટુ નેતા અમીત શાહ કોઈ નિર્ણય લે તેવી ધારણા છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપના ના હોય કે જેમના પર ભાજપ ‘છાપ’ ના હોય તેવા કેટલાક ક્ષત્રિય અગ્રણીઓને દિલ્હી બોલાવાયા છે અને તેઓ પાસે કોઈ સમાધાનનો માર્ગ છે તે પણ ચકાસાશે.