એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા આશરે 25 કર્મચારીઓને ટર્મિનેટ કરી નાખ્યા છે. એર ઇન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશન ડિસ્ટર્બ કરવા અને નક્કી કરેલી શરતોનું ઉલ્લંઘન કરવાના દોષી માનતા સસ્પેન્ડ કરવાની નોટિસ આપી છે.
અચાનક 100થી વધુ ક્રૂ મેમ્બર્સ સિક લીવ પર જતા રહેવાને કારણે એરલાઇને બે દિવસમાં પોતાની 90 ફ્લાઇટને રદ કરવી પડી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના સીનિયર કેબિન ક્રૂ સભ્યોએ પોતાની માંગોને લઇને હડતાળ કરી છે. મંગળવારે જ્યારે એરલાઇનની કેટલીક ફ્લાઇટ ઉડવાની હતી ત્યારે અંતિમ સમયે કેબિન ક્રૂના સભ્યોએ બીમાર હોવાની સૂચના આપતા પોતાના મોબાઇલ ફોન બંધ કરી નાખ્યા હતા.
બુધવારે એરલાઇનના CEOએ કહ્યું, “ગત સાંજથી અમારા 100થી વધુ કેબિન ક્રૂ સહયોગીઓએ પોતાની ફ્લાઇટ ઉડ્યા પહેલા અંતિમ સમયે બીમાર હોવાની સૂચના આપી છે જેને કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઇ છે.” તે બાદ એર ઇન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવામાં કાપની જાહેરાત કરી હતી જેને કારણે મંગળવાર રાતથી 100થી વધુ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી હતી જેને કારણે લગભગ 15 હજાર મુસાફરો પ્રભાવિત થયા હતા. એરલાઇનના CEO આલોક સિંહે કહ્યું, “પુરા નેટવર્ક પર અસર પડી છે જેને કારણે અમારે કેટલાક દિવસમાં કાર્યક્રમમાં કાપ મુકવા માટે મજબૂર થવુ પડ્યું છે.”
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ લેટ પડવા અને કેન્સલ કરવા મામલે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એક્શન લીધુ છે અને આ મામલે એરલાઇન કંપની પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે. મંત્રાલયે એરલાઇનને આ સમસ્યાને હલ કરવાનો આગ્રહ પણ કર્યો છે.