ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કેહવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૯ મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશશે. તેના પછી તે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ હિસ્સામાં પણ તે જ દિવસે પ્રવેશશે. સામાન્ય રીતે ૨૨મેના રોજ ચોમાસુ આ હિસ્સામાં પહોંચે છે, પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું છે.
ચોમાસુ સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરે છે. તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે. તેની સાથે તે ૧૫ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. હવામાન વિભાગને આશા છે કે આ વખતે ચોમાસામાં વધારે વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગે ૧૫ એપ્રિલના રોજ તેમના વર્તારામાં જણાવ્યું હતું કે ચોમાસુ લગભગ ૧૦૬ ટકા રહેવાની આશા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૧૯૭૧થી ૨૦૦૦ના સમયગાળા માટે આખી સીઝનમાં સરેરાશ ૮૭ સેમી વરસાદ પડ્યો છે. ગયા વર્ષે લાંબા સમયગાળાની ચોમાસાની સરેરાશ ૯૪.૪ ટકાથી નીચી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તેના પહેલા ૨૦૨૨ની ચોમાસાની એલપીએ ૧૦૬ ટકા સાથે સામાન્ય કરતાં વધારે હતી. જ્યારે ૨૦૨૧માં લાંબાગાળાના સરેરાશ ચોમાસાએ વરસાદ ૯૯ ટકાની સરેરાશે સામાન્ય હતું. જ્યારે ૨૦૨૦માં તે ૧૦૯ ટકા એટલે ફરીથી સામાન્ય કરતાં વધારે હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે મેના અંતિમ સપ્તાહમાં વધુ એક અદ્યતન વર્તારો જારી કરવામાં આવશે. તેમા પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ પ્રાયદ્વીપ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની સ્થિતિ અને જાણકારી અપડેટ કરવામાં આવશે.