રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાના અઢી વર્ષ બાદ વડાપ્રધાન મોદી આજે યુક્રેન જઈ રહ્યા છે. પોલેન્ડથી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ તેઓ યુક્રેન પહોંચશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કિવમાં 7 કલાક વિતાવશે. આ પહેલીવાર છે જ્યારે ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે છે. 1991માં સોવિયેત યુનિયનના તૂટવાના કારણે યુક્રેનની રચના થઈ ત્યારથી કોઈ ભારતીય વડાપ્રધાને તેની મુલાકાત લીધી નથી.
પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે, કારણ કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ થોડા મહિના પહેલા પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. અગાઉ મોદી અને ઝેલેન્સકી મે 2023માં જાપાનમાં G-7 સમિટ દરમિયાન યુદ્ધ પછી પહેલી વાર મળ્યા હતા.
યુક્રેનની મુલાકાત પહેલા પીએમ મોદી 21 અને 22 ઓગસ્ટના રોજ પોલેન્ડની 2 દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે ગુરુવારે પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. બેઠક બાદ બંને દેશોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે યુક્રેન સંકટનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શોધી શકાતો નથી. તેમણે કહ્યું કે કોઈપણ સંકટમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા એ માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. પીએમ મોદીએ યુક્રેન સંકટનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા શોધવાની વાત કરી હતી.