ઈઝરાયલ અને ઈરાનની સાથે-સાથે તેના પાડોશી દેશો વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે તેલંગાણાથી 100થી વધુ મજૂરો નિર્માણ ઉદ્યોગમાં કામ કરવા માટે તેલ અવીવ પહોંચ્યા છે. તેમાંથી મોટાભાગના ચણતર, સુથારીકામ અને અન્ય બાંધકામના કામો માટે ઈઝરાયલ જઈ રહ્યા છે. આ કામદારોને મફત રહેવા અને ખાવાની સુવિધા સાથે મહિને લગભગ 1.5 લાખનો પગાર મળશે.
નોંધનીય છે કે 1 ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યો હતો ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. તેમ છતાં ભારતમાંથી હજારો કામદારોને 3 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી કામ માટે ઈઝરાયેલ મોકલવામાં આવી રહ્યા છે, બીજી તરફ દેશભરમાંથી 900 કામદારો કામ કરવા ઈઝરાયલ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતમાંથી બાંધકામ મજૂરોને ત્યાં મોકલવાની ઇઝરાયલની વિનંતીને પગલે કેન્દ્રએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ઇઝરાયલની માગને પહોંચી વળવા કુશળ કામદારો મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. ટોમકોમના અધિકારીએ જણાવ્યું કે 900 કામદારોએ ઇઝરાયલમાં નોકરીમાં રસ દર્શાવ્યો છે.