બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની 70મી પ્રારંભિક પરીક્ષા રદ કરવાની માગ સાથે ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરને વહેલી સવારે પટના પોલીસ દ્વારા વિરોધ સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ પ્રશાંત કિશોરને AIIMSમાં લઈ ગઈ છે.
જન સૂરજ પાર્ટીનો આરોપ છે કે પોલીસે પ્રશાંત કિશોર સાથે અત્યાચાર કર્યો છે. પોલીસે તેમને લાફો માર્યો હતો. તેમને સ્થળ પરથી પટના AIIMSમાં લઈ જવામાં આવ્યા છે. તેઓને બીજા બધાથી અલગ કરી દીધા છે. પ્રશાંત કિશોરે કોઈપણ પ્રકારની સારવારનો ઈન્કાર કર્યો છે અને તેમના ઉપવાસ ચાલુ રાખ્યા છે. તે જ સમયે BPSC વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ મુઝફ્ફરપુર કોર્ટમાં પ્રશાંત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન પટના પોલીસ અને જન સૂરજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.
પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરતાં જ સમર્થક વિદ્યાર્થીઓએ પ્રશાંત કિશોરને ઘેરી લીધા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ આખરે પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લીધા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ દળ વચ્ચેની આ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દરમિયાન પોલીસે ગાંધી મેદાન બહાર આવતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે.
પ્રશાંત કિશોર BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ્દ કરવાની માગ માટે પટનાના ગાંધી મેદાનમાં ગાંધી પ્રતિમા નીચે આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા. સોમવારે સવારે 4 વાગ્યે પોલીસ આવી અને પ્રશાંત કિશોરને લઈ ગઈ. જન સૂરજના લોકોનો આરોપ છે કે આ દરમિયાન પોલીસે પીકેને લાફો પણ માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પ્રશાંત કિશોરને પટના એઈમ્સમાં લઈ ગઈ છે, જ્યાં તેનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
પ્રશાંત કિશોરને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. કસ્ટડીમાં લેતા પહેલા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે તે BPSC અનિયમિતતા અંગે 7 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં અરજી કરશે. પ્રશાંતે એવી પણ અપીલ કરી હતી કે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ, કેમ કે તેઓ મોટા નેતા છે અને બિહારના વિપક્ષના નેતા છે.