નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરમાં દોઢ વર્ષ બાદ મોતનું તાંડવ ફરી થયું છે. બિલોદરા નશીલા સિરપકાંડ બાદ રવિવારે મોડી રાત્રે અડધા કલાકમાં યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણના મોત થયા હતા. મૃતકના પરિવારજનોએ દારુ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે. જેથી લઠ્ઠાકાંડની આશંકા છે.
બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને બોડીને પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે, મૃતકના પરિવારના સભ્યોએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા કે, દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી અને મોત થયું છે. આ બનાવમાં લઠ્ઠાકાંડની પણ શક્યતા કહી શકાય એમ છે. મૃતકના સંબંધી પી.કે.ચૌહાણે જણાવ્યું કે, મારો ભત્રીજો કનુ ચૌહાણ કાયમ વજન કાંટો લઈને જવાહરનગર ફાટક પાસે બેસતો હતો. દરરોજ દારૂ પીવે છે, આજે સાંજે પીધો હશે એટલે તેની તબિયત લથડી હતી. અમને જેવી જાણ થઈ તેથી અમે ત્યાં પહોંચ્યા અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મેં અત્યારે જોયા અડધા કલાકમાં 3 વ્યક્તિઓ દારૂ પીધા બાદ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે દોડી તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હાલ તમામ લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નડિયાદના મંજીપુરા રોડ ઉપર આવેલા જવાહરનગર વિસ્તારમાં ત્રણના મોતથી પોલીસે આ વિસ્તારમાં આવેલી જય મહારાજ સોસાયટી પાસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દેશી દારૂ પીધા બાદ તબિયત લથડતા ત્રણેયના મોત નિપજયા છે. બનાવના પગલે સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લાની LCB, SOG, DYSP, IB સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. વધુમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલે પણ બનાવ સ્થળની તપાસ હાથ ધરી છે. લઠ્ઠાકાંડની આશંકાએ જોર પકડ્યું છે. શહેરમાં આવા દેશી દારૂના અડ્ડાઓ પર યુધ્ધના ધોરણે કાર્યવાહી થાય તેવી માગ પ્રબળ બની છે.