રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું – છત્રપતિ શિવાજી મહારાજ દેશમાં વિદેશી આક્રમણકારો દ્વારા હારની સદીઓ જૂની પરંપરાનો અંત લાવ્યા હતા. તેમણે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું. એટલા માટે તેમને યુગપુરુષ કહેવામાં આવે છે.ભાગવતે કહ્યું- યુદ્ધો હારવાની આ પરંપરા સિકંદર મહાનના સમયથી ઇસ્લામ ફેલાવવાના નામે મોટા હુમલાઓ સુધી ચાલુ રહી. ભારતની વ્યવસ્થાઓનો નાશ થતો રહ્યો. વિજયનગર સામ્રાજ્ય અને રાજસ્થાનના રાજાઓ પણ આનો કોઈ ઉકેલ લાવી શક્યા નહીં.
ભારત લાંબા સમય સુધી હારની પરંપરા સાથે સંઘર્ષ કરતું રહ્યું. મરાઠા સામ્રાજ્યની સ્થાપના 17મી સદીમાં થઈ હતી. શિવાજી મહારાજ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે આવા હુમલાઓ અને આક્રમણોનો ઉકેલ શોધ્યો. શિવાજી મહારાજના ઉદય સાથે વિદેશી આક્રમણકારો તરફથી સતત હારનો સમયગાળો સમાપ્ત થયો.
મોહન ભાગવતે કહ્યું, શિવાજી મહારાજની પ્રેરણા આજે પણ પ્રાસંગિક છે. રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિઓએ પણ શિવાજી પાસેથી પ્રેરણા લીધી હતી. શિવાજી મહારાજની બહાદુરીને યાદ કરતા ભાગવતે કહ્યું કે જ્યારે તેમને ઔરંગઝેબે આગ્રામાં કેદ કર્યા હતા, ત્યારે તેઓ ત્યાંથી નાશી છુટ્યા હતા અને તેમનો કિલ્લો પાછો જીતી લીધો હતો. શાંતિ સમાધાનમાં તેમણે જે કંઈ આપવાનું નક્કી કર્યું હતું તે પાછું મેળવ્યું અને છત્રપતિ શિવાજી મહારાજ તરીકે પોતાને સ્થાપિત કર્યા. તેમનો રાજ્યાભિષેક આ આક્રમણકારોના અંતનું પ્રતીક બન્યું હતું.