દેશમાં પહેલીવાર સુરતમાં QR કોડથી હેલ્થ સર્વેના જૂન મહિનાથી શ્રીગણેશ કરાશે, જેમાં પહેલા તબક્કામાં તમામ નવ ઝોનના 150 લેખે 1350 ઘરોને આવરી લેવાશે ત્યાર બાદ સર્વેમાં મળતી ક્વેરીઓને સુધારતા જઈને આખરે તમામ 18.29 લાખ ઘરોમાં QR કોડ લગાવી દેવાશે. ડ્રાફ્ટ બજેટમાં કમિશનર શાલિની અગ્રવાલે કરેલી જોગવાઈ મુજબ પાયલટ પ્રોજેક્ટ તરીકે સરવે હાથ ધરાશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી ઝોનમાં ટીમને સૂચના પણ આપી દેવાઈ છે. પાલિકા દ્વારા ઘરો પર લગાડવામાં આવનારા QR કોડના સ્ટિકરોમાં જે તે પરિવારના સભ્યોનું નામ, સરનામું તમામ સભ્યોના હેલ્થ વર્કરોના સરવે દરમિયાન તાવ, રોગચાળાની માહિતી, મચ્છરનાં બ્રીડિંગ સહિતના ડેટા ઉપલબ્ધ થઈ જશે. ચોમાસા પહેલાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરવાની પાલિકાએ જાહેરાત કરી હતી તે મુજબ જૂન મહિનાથી હેલ્થ સરવે શરૂ કરવામાં આવશે.
જે તે QR કોડમાં ગંદા પાણીની ફરિયાદ હોય તે સહિતની વિગતો, આકારણી વિભાગ તેમની એન્ટ્રી નાંખવી હોય તો તે કરી શકશે. પાણી, ડ્રેનેજ સહિતની તમામ માહિતીઓ પણ તેમાં ફીડ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં ઇમ્યુનાઇઝેશનના ડેટા, 5 વર્ષથી નીચેના જે તે ઘરમાં કેટલાં બાળકો છે, અન્ય ફેસિલિટીઓમાં ઘર નજીકના આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, પાર્ટી પ્લોટ, વોર્ડ ઓફિસો, જન સુવિધા કેન્દ્રો, આધાર સેન્ટરો, પે એન્ડ યૂઝ, પાર્કિંગ સહિતની સેવાઓનો સમાવેશ કરતા જશે તેવું વીબીડીસી વિભાગના અધિકારી જયસુખ વાગડિયાએ જણાવ્યું હતું.