વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોતાના પ્રવાસના બીજા દિવસે બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે એક નવી દિશા આપશે. નવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયર્ન બેટરીના હાઇબ્રિડ ઇલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરૂ થશે. આ પગલું ભારતના બેટરી ઇકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે આ પગલું ઔદ્યોગિક વિકાસનો નવો દોર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
તેમનો આ ગુજરાત પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ પગલું વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને વધુ મજબૂત બનાવે છે. ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. આ કાર જાપાન સહિત 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની વૈશ્વિક સફળતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.