મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે વધી રહેલો સૈન્ય તણાવ ભારત માટે મોટી મુસીબત નોતરી શકે છે. વ્હાઇટ હાઉસના પૂર્વ અધિકારી લિસા કર્ટિસે ચેતવણી આપી છે કે, આ સંઘર્ષ ભારતની ઊર્જા સુરક્ષા માટે ખતરો પેદા કરી રહ્યો છે. નવી દિલ્હી માટે આ એક મોટી ડિપ્લોમેટિક કસોટી છે.
લિસા કર્ટિસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ સંકટની સૌથી પહેલી અને સીધી અસર ભારતની તેલ સપ્લાય પર પડશે. ભારત તેના ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે મધ્ય પૂર્વ પર ખૂબ મોટો આધાર રાખે છે. જો સંઘર્ષ વધશે તો તેલના ભાવ આસમાને પહોંચશે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર અને મોંઘવારી પર પડશે. ભારતીય અધિકારીઓ આ સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે.
કર્ટિસના મતે, ભારત અત્યારે ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધો છે અને બીજી તરફ ઈરાન સાથેના જૂના અને મજબૂત સંબંધો છે. કર્ટિસે એક મહત્વની ઘટના તરફ ઈશારો કર્યો. ભારતે હોસ્ટ કરેલી એક બહુપક્ષીય નેવલ એક્સરસાઇઝમાં અમેરિકાએ ભાગ લીધો અને તેના તુરંત જ બાદ એક ઈરાની જહાજ પર હુમલો કર્યો. આ ઘટના ભારત માટે ચિંતાજનક છે અને તેનાથી સંબંધોમાં તણાવ આવી શકે છે.
ભારત ઈચ્છે છે કે, અમેરિકા આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરે. પરંતુ અત્યારે એવું લાગે છે કે, અમેરિકા પોતે જ આ વ્યવસ્થામાં અવરોધ ઊભો કરી રહ્યું છે. તેથી ભારત અત્યારે ‘ન્યુટ્રલ’ વલણ અપનાવીને બંને દેશો સાથેના સંબંધો સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકા-ભારત દ્વિપક્ષીય સંબંધો તાજેતરમાં સુધર્યા છે. કર્ટિસે નોંધ્યું કે રશિયન તેલ પર અમેરિકાની નરમ નીતિથી ભારતને ફાયદો થઈ શકે છે. અમેરિકા રશિયાને તેલ વેચવાની મંજૂરી આપી રહ્યું છે, જે ઉર્જા સંકટ સમયે ભારત માટે મદદરૂપ છે. પરંતુ, તેમણે વોશિંગ્ટનની નીતિઓની અનિશ્ચિતતા અને અણધારીતા અંગે ચેતવણી પણ આપી છે, જે ટ્રમ્પ સરકારના સમયની યાદ અપાવે છે. આ અસ્થિરતાને કારણે ભવિષ્યમાં ભારત અમેરિકા સાથેના વ્યવહારમાં વધુ સતર્કતા દાખવી શકે છે.





